ગરવા ગીરનારની ગોદમાં આવેલ ઐતિહાસીક નગરી જુનાગઢ શહેરમાં સમગ્ર ગુજરાતના નામાંકિત માર્કેટીંગ યાર્ડ પૈકીનું જુનાગઢ માર્કેટીંગ યાર્ડ હાલ સતત પ્રગતિના પંથે ખેડૂતોના વિકાસાર્થે અને હિતાર્થે કામ કરી રહેલ છે.
વર્ષ ૧૯૭૯માં બજાર સમિતિ-જૂનાગઢની સ્થાપના થયેલ.
વર્ષ ૧૯૮૨ માં માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢનું જરૂરી પ્રાથમિક બાંધકામ શરૂ કરેલ અને વર્ષ ૧૯૮૫ સુધીમાં માર્કેટીંગ યાર્ડનું મહત્વપૂર્ણ બાંધકામ પૂર્ણ થયેલ.
તા.૦૪/૧૦/૧૯૮૬ ના રોજ માર્કેટીંગ યાર્ડમાં હરરાજી ની શરૂઆત થઈ અને કૃષિ આધારીત જૂનાગઢ જીિલ્લાના અર્થતંત્રમાં એક નવા યુગ નો ઉદય થયો અને ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા અને ખેતી ઉપજને ન્યાયી ભાવમાં વેંચાણ માટે સુવ્યવસ્થિત બજાર પ્રણાલી ઉભી કરવાના હેતુસર માર્કેટીંગ યાર્ડને ખુલ્લું મુકવામાં આવ્યું.
પ્રારંભિક કાળમાં માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢમાં મગફળી, એરંડા, તલ વિગેરે જેવી જણસીઓના વેંચાણ માટે વેપાર શરૂ થયેલ.
ત્યારથી અત્યાર સુધીમાં માર્કેટીંગ યાર્ડ-જુનાગઢ સતત વિકાસ કરી સમગ્ર જુનાગઢ જીલ્લામાં પોતાની કાર્ય પ્રણાલીકા અને વ્યવસ્થા તંત્રને કારણે જુનાગઢ જીલ્લાનું સર્વોતમ યાર્ડ તરીકે પ્રસ્થાપિત થયેલ છે.
જુનાગઢ બજાર સમિતિનો વિસ્તાર તાલુકાના ૭૦ ગામ અને જુનાગઢ શહેર છે.
મુખ્ય અનાજ કઠોળ માર્કેટીંગ યાર્ડ ૪૦ વિઘા અને શાકભાજી ફળફળાદી સબયાર્ડ ૯ વીઘા વિસ્તાર ધરાવે છે.
બજાર સમિતિની સ્થાપનાનો હેતુ આ કૃષિ પ્રધાન દેશમાં રાત-દિવસ ટાઢ–તાપ જોયા વગર જે ખંતથી કામ કરે છે એવા ખેડૂતો ખેત ઉત્પન્તનો માલ કોઈપણ જાતની છેતરામણી વગર વહેંચી શકે એ મુખ્ય ઉદેશ છે.
માર્કેટીંગ યાર્ડનું એક સુત્ર છે. ખુલ્લી હરરાજી, ખરો તોલ અને રોકડા નાણા. માર્કેટીંગ યાર્ડની અંદર આવનાર ખેડૂત કોઈપણ રીતે છેતરાતો નથી.
ઘણા ખરીદનાર વેપારી મિત્રો વચ્ચે ખેડૂતોની જણસીની હરરાજી થાય છે અને તંદુરસ્ત હરીફાઈમાં ખેડૂતોનો માલ વેચાય છે, જેથી માલની ગુણવતાના પ્રમાણમાં પોષણક્ષમ ભાવ મળે છે.
વેચાણ પ્રક્રિયા પછી તોલ કરતી વખતે પણ સતત યાર્ડના કર્મચારી દ્વારા ઈન્સ્પેકશન થતુ હોય છે. જેથી તોલમાં પણ કોઈપણ જાતની છેતરપીંડી થતી નથી અને તોલ થઈ ગયા બાદ ખેડૂતોને તુરંત પેમેન્ટ કરવામાં આવે છે.
માર્કેટીંગ યાર્ડમાં આવતા રહેલા ખેડૂતોને કોઈપણ જાતનો જેમ કે, કમીશન, તોલાઈ–ભરાઈનો ખર્ચ થતો નથી અને વિશેષ જણાવતા આનંદ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જુનાગઢ માર્કેટીંગ યાર્ડ જ એવુ હશે કે જયાં ખેડૂતોના માલની ઉતરાઈ પણ લેવામાં આવતી નથી.
ખેડૂતોના માલના રક્ષણ માટે નાના મોટા ૧૧ ઓકશન શેડ આવેલા છે. જેથી ખેડૂતોના માલને પુરતુ રક્ષણ મળી રહે છે. ચોમાસાની ઋતુમાં પણ માલ પલળવાની ભીતી રહેતી નથી.
માર્કેટીંગ યાર્ડમાં આવતા રહેલા ખેડૂતો માટે પણ રાત્રી રોકાણ માટે આરામ ગૃહની સુવિધા છે. સીકયુરીટી સુવિધા પણ એટલી જ છે. માર્કેટીંગ યાર્ડમાં સી.સી.ફલોરીંગ રોડની અદ્યતન સુવિધા છે. ચોરીના દુષણ ડામવા માટે સંપુર્ણ યાર્ડમાં સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવામાં આવેલ છે. માર્કેટીંગ યાર્ડમાં અદ્યતન નવી ટેકનોલોજીથી સજજ વે-બ્રીજ ની વ્યવસ્થા પણ છે અને પીવાના શુધ્ધ પાણી માટે આર.ઓ. પ્લાન અને વોટર કુલરની વ્યવસ્થા છે.
બજાર સમિતિ દ્વારા જુનાગઢ તાલુકાના અંદાજીત ખાતેદાર ખેડૂતો ૫૭,૦૦૦/– ઉપર છે. તેઓને બજાર સમિતિ દ્વારા અકસ્માત મૃત્યુ વીમા કવચ આપેલ છે.
માર્કેટીંગ યાર્ડની ઉત્તરોતર પ્રગતિમાં નજર કરીએ તો ગત વર્ષ ૨૦૨૪-૨૫ માં રૂા. ૧૧૧૮/- કરોડનું વાર્ષિક ટર્નઓવર નોંધાયેલ છે અને કુલ જણસી જોઈએ તો વર્ષ ૨૦૨૪-૨૫ માં ૧૮,૫૨,૬૪૬ કવિન્ટલ જણસીનો જથ્થો આવેલ છે.
વિશેષ જણાવતાં ગૌરવ થાય કે આજના દિવસે માર્કેટીંગ યાર્ડ-જૂનાગઢ એ એક પણ રૂપિયાના કરબોજ વગરનું અને ખૂબ જ આર્થિક ક્ષમતા ધરાવતું માર્કેટીંગ યાર્ડ છે.
અનાજ અને કઠોળ
પ્રતિ 20 કિગ્રાશાકભાજી
પ્રતિ 20 કિગ્રાફળ
પ્રતિ 20 કિગ્રા